સૂરજનાં કલાત્મક કિરણથી કમળો કિલ્લોલ કરતાં ખીલી ઊઠે છે. પણ એ જ કમળો જ્યારે સૂરજ વિદાય થાય છે ત્યારે મ્લાન બનીને બિડાઈ જાય છે. એ વિના બીજું કરે પણ શું ? પ્રેમનો પ્રભાવ જ એવો ભારે છે.
રાતરાણીની પણ એવી જ દશા છે ને ? ચંદ્રનો ચારુ ચેતનમય સ્પર્શ થતાં એ અત્યંત આનંદમાં આવી જાય છે; એના અંગેઅંગમાંથી અનુરાગના અમીમય આલાપનો આવિર્ભાવ થાય છે. ચંદ્રની વિદાય સાથે એનું જીવન જડ કે નીરસ બની જાય છે.
કુદરતમાં પણ અનુરાગની આવી અખંડ આરાધના થઈ રહી છે; તો હું તો માનવ ! તમારે લીધે જ, તમારા પ્રેમના પ્રતાપથી જ જીવું, કિલ્લોલ કરું, સુવાસિત બનું, એમાં શું આશ્ચર્ય ?
તમારા પ્રેમનો પ્રતાપ મારા જીવનમાં કાયમ રહે એમ ઈચ્છું છું.
(૩-૭-૧૯૬૦, રવિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)
* *
સમાપ્ત
* *