પધારીને પૃથ્વીપટ પર તમે સંકટ સહ્યાં
વિપત્તિઓ વેઠી પ્રતિપદ વિરોધો પણ સહ્યાં;
કદી અશ્રુ સાર્યાં, ભય અનુભવ્યો, દુર્દીન વ્યથા
તથા ચિંતા માણી, વિરહ નીરખ્યાં આપ્તજનના
પધારીને પૃથ્વી પર પ્રણયથી તોપણ તમે
ક્ષમાથી કારુણ્યે પરમશુચિતાથી સુખ વડે
સુખી કીધાં કૈંને, રસમય કર્યાં ચેતન ધર્યાં,
તમિસ્ત્રે આત્માનાં કિરણ, વિષમાં અમૃત ભર્યાં.
પધારીને પૃથ્વીપટ પર તમે જ્યોતિ જગવી
અનાસક્તિ કેરી અમૃતપદની સ્વાર્પણતણી,
ન ભૂલ્યાં કોદીયે નિજ વતનને, લિપ્ત ન થયાં,
જવાનું આવ્યું તો સરળ હૃદયે સત્વર ગયાં.
તમે જ્યાં હો ત્યાંથી પ્રતિદિન શુભાશિષ વરસો,
અમીદ્રષ્ટિ ઢાળો, જગત જગવો, દિવ્ય સ્પરશો.
- શ્રી યોગેશ્વરજી