વીતતા દિવસો વીતે મહિના, કાળચક્ર આ
અબાધિતપણે ચાલે વાયુથી વધુ વેગથી,
દિવસે દિવસે થાયે બળવત્તર સંસ્મૃતિ
તમારી પ્રેરણાદાત્રી દિવ્ય આનંદકારિણી.
જ્યોતિર્મયી તમારી એ જિંદગી જ્યોતિથી ભરી
જગવે જ્યોતિને નિત્ય સંજીવનીમયી નવી;
તમિસ્ત્રથરને ટાળે ઉજાળે અંતરાત્મને,
ચિરકાળ સુધી એની પ્રભા લેશ નહીં શમે.
નવા છંદે ગીતે અભિનવ રસે અંજલિ ધરી
તમોને આરાધ્યાં રગરગમહીં આદર ભરી;
અનોખો આવ્યો આ અવસર ભલેને મરણનો,
તમે જે જીવ્યાં તે વિષય નવ છે વિસ્મરણનો.
- શ્રી યોગેશ્વરજી