ચાર મહિના મૃત્યુને આજે થયા
તમારા તે ચાર યુગ જેવા ગયા,
સ્મૃતિ તમારી ચિરંજીવ રહી બની,
વેદનાની વાત અંતરમાં વણી
અમે કર્તવ્યો કર્યાં, કરતાં રહ્યાં
કિન્તુ પળ પણ ના તમોને વિસ્મર્યાં.
મૃત્યુની ઘટના અવનવી વિશ્વમાં
પાડતી પડદો પ્રબળતમ કાળનો,
જનાર પાછું ફરે ના રૂપ એ,
રંગ ના દેખાય પાછો જીવને,
માહિતીના તાર સઘળાં તૂટતા
થયેલા સંપર્ક સત્વર છૂટતાં,
અરે વિધિની એય કેવી ક્રૂરતા
જેમને સર્જે વિસર્જન એમનું
કરે ઇચ્છા કે અનિચ્છાથી સદા
દીસતી એ અલ્પ ના નિષ્ઠુરતા.
ચાર મહિના મૃત્યુને આજે થયા
કિન્તુ બીજા જગતમાં જનમ્યાં તમે
ચાર મહિના લાગતાં એને થયા;
જન્મ ને મૃત્યુતણી લીલા સતત
દેખતાં સુણતાં સમજતાં મોહને
મટાડે ના એમની આવે દયા.
આ અનિત્ય જગતમહીં તારક મરે,
એક સ્થળમાં રહી ના શકતી હવા.
- શ્રી યોગેશ્વરજી