ગંગોત્રીથી લગભગ ૧૯ થી ર0 માઈલનો આગળનો પ્રવાસ કરીએ એટલે ગંગાનું ઊગમસ્થાન ગૌમુખ આવે છે. જેણે પણ એ પ્રવાસ કર્યો છે તેને એની કઠિનતાનો કપરો અનુભવ થાય છે. પર્વતની વચ્ચેથી ઘોર જંગલમાં થઈને પસાર થતો એ પ્રવાસપથ ખરેખર વિકટ છે. રસ્તામાં કેટલેય ઠેકાણે ઝરણાં પાર કરવા પડે છે. જંગલી જનાવર પણ જોવા મળે છે. પર્વતો પણ કેટલેય ઠેકાણે કાચા છે. છતાં એ પ્રદેશના અસાધારણ સૌન્દર્યથી અંજાઈને કેટલાય સાહસવીરો, સૌન્દર્યરસિકો ને સાધુઓ ગંગોત્રીથી આગળ વધે છે. અને ગૌમુખના દર્શનથી ધન્ય બને છે. માર્ગની મુશ્કેલીઓને એ નજીવી ગણે છે. હિમાચ્છાદિત પ્રદેશનો પ્રવાસ એમને અદ્દભુત આનંદ આપે છે.
ગંગોત્રીથી આગળ કોઈ ધર્મશાળા નથી આવતી, કે નથી કોઈ ગામ પણ મળતું; એટલે વચ્ચેના મુકામ માટે તંબુની વ્યવસ્થા કરી લેવી પડે છે. ખાવાપીવાની જરૂરી સામગ્રી, બરફ પર ચાલવાના જોડા અને લાકડી પણ સાથે રાખવાં પડે છે. સારા માર્ગદર્શકની પણ જરૂર પડે છે.
ગંગોત્રીથી ગૌમુખ જતાં રસ્તામાં દસેક માઈલ જઈએ એટલે એક નાનો સરખો સંગમ આવે છે. ત્યાં દેવગાડ નામની નદી ભાગીરથીમાં મળે છે. ત્યાંથી સાડા-ચાર માઈલ દૂર ચીડના વૃક્ષોનું વન ચીડોવાસ છે. પ્રવાસીઓ ત્યાં રાતે આરામ કરે છે, અને સવારે વહેલા ઊઠીને ત્યાંથી ચાલીને ગૌમુખ પહોંચે છે.
ગૌમુખનું દર્શન અત્યંત અદ્દભુત છે. ત્યાં વહેતી ગંગાની ધારા જોઈને અંતર આનંદી ઊઠે છે. તે ધારા ગ્લેશિયરની નીચેથી નીકળે છે.પાણી ખૂબ જ ઠંડુ હોય છે, ત્યાં ભાવિકો સ્નાન કર્યા વિના નથી રહેતા. કેદારની જેમ ત્યાં પણ લાકડાં સળગાવીને શ્રદ્ધાળુ લોકો સ્નાન કરે છે. સૂર્યોદય પછી બરફથી ભરેલા પર્વતો પરથી બરફના ટુકડા પડવા શરૂ થતાં હોવાથી, પ્રવાસીઓ તે પહેલાં જ પાછા વળી જાય છે. ત્રણેક દિવસનો એ પ્રવાસ જીવનભર યાદગાર બની જાય છે.
સ્વામી તપોવનજી દર વરસે ગૌમુખ જતા ને તેમની સાથે ઉત્તરકાશીથી કેટલાક બીજા લોકો પણ નીકળતાં. યાત્રામાં આજે પણ ઉત્તરકાશી કે ગંગોત્રીથી કેટલાક સંતપુરુષો જોડાય છે. એમનામાંના કોઈનો સંગ મળી જાય તો યાત્રા સફળ થાય અને ઉત્સવમય બની જાય.