if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : કામવાસનાને જીતી શકાય ખરી ? મને આધ્યાત્મિક વિકાસમાં રસ છે, અને એને માટે મારાથી બનતી સાધના હું કરું છું પણ ખરો. પણ હું અતિશય કામુક છું. લગ્નજીવનના દસ વરસના અનુભવ પછી પણ કામવાસનામાંથી મુક્તિ મેળવવાનું કામ કપરું લાગે છે. તો એ સંબંધી હું તમારું માર્ગદર્શન માગું છું.
ઉત્તર : આ તમારી વ્યક્તિગત સમસ્યા છે પણ ખરેખર તો તે ઘણા સાધકોના જીવનની સમસ્યા છે. એને તમે વાચા આપી છે. આધ્યાત્મિક વિકાસમાં જેમને રસ હોય, તેમણે કામુકતામાંથી છૂટવું જ. તેના વિનાનો સાધનાત્મક અભ્યાસ પત્થર પર પાણી જેવો થવાનો સંભવ છે. તમે તે માટે પ્રયત્ન કરો છો, અને એ પ્રયત્નની નિષ્ફળતાનું દુઃખ અનુભવો છો, એ એક અત્યંત આવકારદાયક વાત છે. અને એ લક્ષણના પ્રતાપથી જો આ જ પ્રમાણે પ્રત્ન કરતા રહેશો તો, તમારી ઈચ્છિત અવસ્થાની પ્રાપ્તિ તમે જરૂર કરી લેશો.

આ સંસારમાં કશું જ અશક્ય નથી એ યાદ રાખશો. અશક્ય જેવી લાગતી વસ્તુઓ પણ માણસે પોતાના અદમ્ય ઉત્સાહ, મજબુત મનોબળ, અનવરત પુરુષાર્થ અને સમર્પણ ભાવથી શક્ય કે સિદ્ધ કરી છે. એટલે કામવાસનાને જીતી શકાય કે કેમ એવી શંકા જ ના રાખો. તેને જરૂર જીતી શકાય છે. આજ લગી કેટલાય પુરુષસિંહો એને જીતી શક્યા છે તેમ તમે પણ તેને જીતી શકો છો.

પ્રશ્ન : કામવાસનાને સ્વાભાવિક કહેવામાં આવે છે એ સાચું છે ?
ઉત્તર : સ્વાભાવિકનો અર્થ કેવોક કરો છો ? જો એનો અર્થ તમે મૂળભૂત સ્વભાવ સાથે સંકળાયેલી કે જડાયેલી, અથવા તો સ્વભાવ હોય ત્યાં સુધી રહેનારી એવો કરતા હો, તો એ અર્થમાં કામવાસનાને હું સ્વાભાવિક નથી કહેતો. માનવને માટે જે સ્વાભાવિક છે તે તો પ્રેમ છે, કામ નથી. પ્રેમ જ એની પ્રકૃતિ છે, ને કામ તો વિકૃતિ છે. બંનેને તમે એક ના સમજી લેતા. પ્રેમ કાયમી છે પરંતુ કામ કામચલાઉ છે. પ્રેમ મંગલ હોવાથી પરમાત્માને પણ પ્રેમસ્વરૂપ કહેવામાં આવે છે; કામસ્વરૂપ કહેવામાં નથી આવતા. એટલે કામવાસનાને સ્વાભાવિક માનવાની ભૂલ ન કરતા.

પ્રશ્ન : કામવાસનાથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ ?
ઉત્તર : સત્સંગ અથવા તો સારા કે પવિત્ર પુરુષોનો સમાગમ, સારાં પુસ્તકોનું વાંચન, મનન, વિષયોમાં દોષદર્શન અને એ બધા ને બીજા ઉપાયો ઉપરાંત મુખ્યત્વે તો ઈશ્વરની ઉત્કટ પ્રાર્થનાનો આધાર લેવો જોઈએ. પ્રાર્થનામાં દૈવી શક્તિ રહેલી છે. તે દ્વારા ઈશ્વરની મદદ માગો તો તે તમારા માર્ગને જરૂર સરળ બનાવશે. તમારી નબળાઈઓને દૂર કરવાની શક્તિ પણ તે જ પૂરી પાડશે.

પ્રશ્ન : સ્ત્રી માત્ર તરફ માતા કે બેનની દૃષ્ટિથી જોવાની ટેવ પાડીએ તો ?
ઉત્તર : તે ટેવ પણ સારી છે. પરંતુ પાછળથી પવિત્રતાનું પ્રાકટ્ય થતાં એવી ટેવ નહિ પાડવી પડે. એ દૃષ્ટિ અથવા તો એવું નિર્મળ દર્શન તમારે માટે સહજ બનશે. સ્ત્રી કે પુરુષ સૌને તમે આત્મભાવે જોતા થઈ જશો. પરમાત્માના પ્રતિક જેમ અનુભવતા થઈ જશો. કામની સમસ્યા પછીથી તમારા જીવનમાં નહિ રહે, માત્ર પવિત્ર પ્રેમ જ રહેશે.


We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.