પ્રશ્ન : આત્મવિકાસની સાધનામાં ઉપવાસથી કોઈ મદદ મળે છે ખરી ? મળતી હોય તો કેવીક મળે છે ?
ઉત્તર : આત્મવિકાસની સાધનામાં, સાધક જો જાગ્રત હોય તો ઉપવાસથી મદદ મેળવી શકે છે. ઉપવાસથી આરોગ્યની દૃષ્ટિએ લાભ પહોંચે છે, એની અસર મન પર થતી હોય છે. પ્રમાદ તથા આળસ ઓછાં થવાથી ઉપવાસ દરમ્યાન દિવસે તથા રાતે મનને વધારે સારી રીતે પરોવી શકાય છે.
પ્રશ્ન : ઉપવાસ દરમ્યાન ફળાહાર કરી શકાય ?
ઉત્તર : કેવળ પાણી પર કે દૂધ પર રહીને ઉપવાસ કરવાનું સર્વશ્રેષ્ઠ છે. પરંતુ જેમનાથી એવી રીતે ઉપવાસ ના કરી શકાય, તે એકાદ વાર ફળ લઈને અથવા ફળાહાર કરીને ઉપવાસ કરી શકે છે. પણ તે ફળાહાર ખૂબ જ સાદો અને થોડો, આળસ ઉત્પન્ન ના કરે તેવો હોવો જોઈએ. આજે કેટલાક લોકો કરે છે તેમ પેટ ભરીને ભારેખમ ફળાહાર કરવાથી સાધનામાં મદદ મળી શકતી નથી. એથી શરીરના આરોગ્યનો હેતુ પણ સરતો નથી. ઉપવાસના નામને ખાતર જ કેવળ ઉપવાસ કરવામાં આવે છે.
પ્રશ્ન : ઉપવાસ વિષે કોઈ બીજું જરૂરી માર્ગદર્શન આપશો ?
ઉત્તર : ઉપવાસ કરનારે મનને નિર્મળ અથવા સાત્વિક કરવા તરફ ખાસ ધ્યાન આપવું જોઈએ. કેટલાક સારા નિયમો પાળવા જોઈએ તથા ભૂલેચૂકે પણ કોઈ કુકર્મ ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ઉપવાસના દિવસે જૂઠ્ઠું ના બોલાય, ક્રોધ ના કરાય, કોઈની સાથે છેતરપીંડી ના થાય. કોઈને દુઃખ ના પહોંચાડાય કે નુકસાન ના થાય, કોઈને અન્યાય ના કરી બેસાય, અનીતિયુક્ત વ્યવહાર ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ઉપવાસ ના હોય તે દિવસો દરમ્યાન પણ એવા શુધ્ધ વ્યવહાર માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, પરંતુ ઉપવાસ દરમ્યાન તો તેની ખૂબ જ તકેદારી રાખવી જોઈએ. તો જ ઉપવાસ આત્મિક વિકાસમાં મદદરૂપ બની શકે. નહિ તો રૂઢિ કે પરંપરાનું જડ રૂપ ધારણ કરે.