if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કેટલાક માણસો કર્મ ને વ્યવહારનો પક્ષપાત કરે છે, ને સંન્યાસ તથા સંન્યાસીની ટીકા ને નિંદા કરે છે. એ વિશે મેં આગળ પણ ઈશારો કર્યો છે. જે લોકો સંન્યાસ લે છે તે સમાજને ભારરૂપ થાય છે, ને સમાજની પ્રગતિમાં અંતરાયરૂપ બને છે, એવો ખ્યાલ તેમના મનમાં રમી રહ્યો હોય છે. મેદાની પ્રદેશોની વાત જવા દઈએ, ને પર્વતીય પ્રદેશોની વાત કરીએ તો પણ એવા ખ્યાલવાળા કેટલાય લોકો ત્યાં જોવા મળે છે. દેવપ્રયાગમાં સાધુસંન્યાસીને માટે અન્નક્ષેત્ર નથી. ત્યાં સાધુસંન્યાસી વસતિમાં ફરીને ભિક્ષા મેળવી લે છે. વધારે ભાગે તેમને ભિક્ષા મળી જાય છે પણ ખરી. પરંતુ ત્યાંની વસતિમાં પણ કેટલાક વિચિત્ર વિચારવાળા માણસો વસે છે ખરા. મને તો શી ખબર, કેમ કે મારી કુટિયા ગામથી જરા દૂર છે ને ગામમાં આવવા-જવાનું પણ મારે ભાગ્યે જ બને છે. પણ મારી કુટિયાએ બેત્રણ સારા સંતો આવ્યા હતા. તેમણે પોતાના અનુભવની વાત કહેતાં કહ્યું હતું કે ગામમાં ભિક્ષા માંગવા ગયા તો એક બે ઘેરથી એવો જવાબ મળ્યો કે મહારાજ, તમે તો સશક્ત છો. અમારી જેમ ધંધો કરો તો આવી રીતે ભિક્ષા માંગવા આવવું પડે કે ? બીજું કાંઈ ના કરો ને પલટનમાં ભરતી થઈ જાવ તો પણ ઠીક થાય !

આનું નામ અજ્ઞાન. સાધુસંન્યાસી ભિક્ષા માગવા આવે તેનો અર્થ એમ નથી કે તે કોઈના પર બળજબરી કરે છે. તમારા દ્વારે આવીને તે ઈશ્વરના નામે ઊભા રહે છે. તેમની ઝોળીમાં કાંઈ નાંખવું કે ના નાંખવું અથવા તેમને કાંઈ આપવું કે ના આપવું તે તમારી મરજીની વાત છે. સંન્યાસીને આપવાની ભિક્ષા ફરજીયાત નહિ પણ મરજીયાત છે. તે કાંઈ સરકારી ટેક્ષ નથી કે જે ભરવો જ પડે, ને ના ભરો તો કામ ન ચાલે. સરકાર પ્રજાની રક્ષા કરે છે, તથા પ્રજાની સુખાકારી માટે કામ કરે છે. બદલામાં પ્રજા તેને કર આપવાનું સારું સમજે છે. તે પ્રમાણે સાધુસંન્યાસી સમાજની સુખાકારી માટે મદદરૂપ ને સંસ્કૃતિની રક્ષા કરનારા છે. આપણે તેમને રોટી આપીએ છીએ, તેનાં બદલામાં તે આપણને ને સમાજના બીજા સભ્યોને ઘણું ઘણું આપે છે એટલે તેમને ભિક્ષા આપવામાં હરકત કશી જ નથી. એમ સમજીને તમારે ભિક્ષા આપવી હોય તો આપો, ને ના આપવી હોય તો ના આપો. એમાં તમે સંપૂર્ણપણે સ્વતંત્ર છો. તમારે ઘેર કોઈ સાધુ–સંન્યાસી આવે તો તમારે કરવાનું કામ આટલું જ છે. પણ એથી આગળ વધીને તમારૂં સાધારણ કામ મૂકી દઈને તમે વકીલાત કરવાનું શરૂ કરો, ને તેમને કોઈ ધંધો કરવાની કે પલટનમાં ભરતી થવાની વણમાગી સલાહ આપો તે તદ્દન અસ્થાને છે ને તેમાં અજ્ઞાન વિના બીજું કાંઈ જ નથી. સંન્યાસ પણ ઉપયોગી છે ને કેટલાક માણસોને પોતપોતાની રુચિ ને પરિસ્થિતિ પ્રમાણે તેનો આશ્રય લેવાની જરૂર પડે છે તેવા માણસોને માટે તે આશીર્વાદરૂપ થઈ પડે છે–અભિશાપરૂપ નહિ. એ સમજી લેવાની જરૂર છે. એવી કેટલીક જરૂરી સમજથી સંન્યાસ ને સંન્યાસી તરફની ઉપેક્ષાવૃત્તિ દૂર થશે, ને સમાજના ઉપયોગી અંગો તરીકે તેમનું મહત્વ સમજી શકાશે. ત્યારે જ ગીતાના એ ઉપદેશનો મર્મ સમજાશે કે સંન્યાસ પણ જીવનને માટે કલ્યાણકારક છે, જીવનની ઉચ્ચોચ્ચ ઉન્નતિમાં મદદરૂપ છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.