ચિત્ત, પી ચરણોનો રસ તું !
ભ્રાંતિ ભરીને ભમે જગતમાં, ચંચલ બનતાં શું ?
ધ્યાન ધરી લે ચારુ ચરણનું, સત્ય કહું છું હું ... ચિત્ત.
રસનો સંગમ થાય સદા ત્યાં મંગલ તીર્થ થયું,
સ્નાન કરી લે સ્નેહે એમાં હિતનું વચન કહ્યું ... ચિત્ત.
સ્વર્ગથકી વધુ સુખકારક એ ચરણ પ્રીત કર તું,
પરમ શાંતિ સાંપડશે તુજને ના નુકસાન કશું ... ચિત્ત.
ભવસાગરની નક્કર નૌકા આરૂઢ થજે તું,
ઘોર તરંગો કરશે કૈં ના, હિંમત આપું હું ! ... ચિત્ત.
માયા કર આ ચારુ ચરણની, હઠ ના ક્યાંય તસુ,
‘પાગલ’ થૈ બડભાગી બનશે, અમર થશે મૃત શું ... ચિત્ત.
- શ્રી યોગેશ્વરજી