મૂરખ મન, તુજને કેમ કરી સમજાવવું ?
માને ના કોટિ ઉપાયે કેમ મનાવવું ? ... મૂરખ મન.
વિષયો મહીં રસ જે દીસે, સંપૂર્ણ રસ તે છે નહી,
તે તો ખરેખર બિંદુ છે, સુખ સિંધુ સાથ ટકે નહી,
એ સમજીને તજ વિષયોમાં સુખ માનવું ! ... મૂરખ મન.
જેની પ્રભાથી પ્રકાશે બ્રહ્માંડ ને શોભે ખરે,
જેના રસે રસમય બને, પ્રકટી રમે જેમાં મળે;
એનાં ચરણોમાં મોહિત થાને આજ તું ! ... મૂરખ મન.
સૌન્દર્યમાં કર સ્નાન, એને થઇ ‘પાગલ’ પૂજ ને,
આસક્ત થા અનુરાગમાં એમાં રસે તું ડૂબ ને;
જો જીવન તારું હોય કૃતાર્થ બનાવવું ! ... મૂરખ મન.
- શ્રી યોગેશ્વરજી