દુઃખથી ના ડરવું, ઓ મનવા, દુઃખથી ના ડરવું,
જેમ જેમ દુઃખ પડે, તેમ હરિ-સ્મરણ વધુ કરવું.
... ઓ મનવા, દુઃખથી ના ડરવું
દુઃખ સત્ય ના દુઃખ માન તું, હરિને ભૂલ્યે દુઃખ;
હરિસ્મરણમાં સુખ હંમેશાં, તેમાં રે’ ચકચૂર.
હરતાં ફરતાં હરિને ભજવું, સંકટને તરવું.
... ઓ મનવા, દુઃખથી ના ડરવું.
હરિ સુમિરનથી સંકટ નાસે, એમાં ના કૈં ભૂલ,
હરિના પ્રેમમહિં ‘પાગલ’ થા, સુમિરનમાં ના ચૂક.
દિવસ રાત હરિનામ જ રટવું, સુખ એમાં ગણવું.
... ઓ મનવા, દુઃખથી ના ડરવું
- શ્રી યોગેશ્વરજી