Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માટીના માનવ એવું જીવન જીવી જા !
તૂટેલાં હૈયાં સ્નેહની સોયે સીવી જા ... માટીના માનવ

સરિતાની જેમ તારાં સ્વર્ગીય સોણલાંને,
જોતો જોતો વહી જા,
પ્યાસ બુઝાવી જા તું પ્યાસીની, તેમ પેલાં,
મૂંગાં ને ગવરાવી ગા ....માટીના માનવ

ઝાડની જેમ શીળી છાયા બની જા કોની,
કોનો દિલાસો થા;
જીવતાં છાયા આપી અંતે કોઈને માટે,
પ્રેમે ભલેને જલી જા ....માટીના માનવ

કૈંકનાં આંસુ લૂછે, કૈંના આધાર થાયે,
બદલામાં માગે કૈંયેના,
તેવું જીવી જનેતા તેમ જ આ જિંદગીને,
ધન્ય ધન્ય કરીને જા ....માટીના માનવ

તારી શક્તિ ને વિદ્યા દુનિયાનો વારસો છે,
જીવન છે થાપણ જગની આ,
એવી રીતે તો વાપર મિલ્કત મોંઘી કે,
ગૌરવ બધાનું બની જા ....માટીના માનવ

કૈંક મરે છે ત્યારે હાશ કરે છે લોકો,
કૈંને રડાવી તું જા;
માનવથી દેવ થા ને પ્રવાસી પૂરો થઈને,
મૃત્યુને મારી નાખી જા ....માટીના માનવ

શોક ને મોહ તેમ જ નિરાશાને મારી નાખી,
પ્રેમી આનંદી બની જા;
અંધારાં આંખનાં આ હઠાવી દઈને ‘પાગલ’ ,
સૌની યે જ્યોતિ થઈ જા ....માટીના માનવ

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit