તમારા ભોગ વૈભવમાં કશુંયે નિત્ય શાશ્વત ના,
સકળ સંસાર ક્ષણભંગુર ભરોસો એહનો છે ક્યાં ?
ચપળ ચપલા રહે ચમકી ગગનમાં ને વિલીન થતી;
સદાયે સિંધુમાં આવે અચાનક ભાવની ભરતી;
નથી ટકતી નિરંતર તે, ભરોસો એહનો છે ક્યાં ? ....તમારા
સુમન જે છોડ પર ખીલે ઢળે આખર વદન વીલે,
મરણના જે મારને યૌવન તથા સૌંદર્ય ના ઝીલે,
મળે સામ્રાજ્ય સ્વર્ગ છતાં ભરોસો એહનો છે ક્યાં ? ....તમારા
હવે વધુવાર ભોગોમાં નથી મારે ખરે ભમવું,
વિનાશી રંગ રૂપોની કરી મમતા નથી રમવું;
પુન: સત્સંગ આવો સાંપડે એવો ભરોસો ક્યાં ? ....તમારા
બતાવો અમરતાનો માર્ગ બંધનને હઠાવી દો,
તિમિર અજ્ઞાનનાં ટાળી કૃપાનાં કિરણ ઢાળી દો;
કરાવો આત્મદર્શનને; ભરોસો અન્યનો છે ના .....તમારા
- શ્રી યોગેશ્વરજી