ભાગવત ગાઈએ ને ગવડાવીએ,
હરિરસ પીએ ને પીવડાવીએ ... ભાગવત.
કાળનાગ ગ્રસવાનો સૌનેય છેવટે,
હરિના સ્મરણથી ભીતિ એની મટે.
અમૃત રસમાં ન્હાઈ ન્હવડાવીએ ... ભાગવત.
યજ્ઞ યાગ સ્વાધ્યાય કામ ના આવે,
તીરથ કે કર્મકાંડ કોઈ ના ફાવે.
પ્રેમને પ્રગટાવી ને પ્રગટાવીએ ... ભાગવત.
સંતોના ચરણોમાં સઘળું સમર્પી,
જગાવો વધારી સાચી શ્રધ્ધા ભક્તિ.
વૈકુંઠ મુક્તિ આંગણિયે ઉતારીએ ... ભાગવત.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)