Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

२०. स्वात्मना चोत्तरयोः ।

અર્થ
ઉત્તરયોઃ = પરલોકમાં જવાની ને ત્યાંથી પાછા આવવાની એ પાછળથી કહેલી બંને ક્રિયાઓની સિદ્ધિ. 
સ્વાત્મના = સ્વરૂપ રૂપથી જ. 
ચ= થાય છે. (એટલે પણ આત્મા નિત્ય છે.)

ભાવાર્થ

શાસ્ત્રોમાં પરલોકમાં જવાની ને ત્યાંથી પાછા ફરવાની જે વાત વર્ણવવામાં આવી છે તેથી સ્પષ્ટ થાય છે કે આત્મા પરલોકમાં પ્રવેશે છે તે જ ત્યાંથી સુનિશ્ચિત સમય પછી પાછો ફરે છે ને પુનર્જન્મ ધારણ કરે છે. પરલોકમાં પ્રવેશનાર ને પુનર્જન્મ પામનાર આત્મા જુદા જુદા નથી હોતા. એથી ફલિત થાય છે કે એ આત્મા અવિનાશી અને એક છે.

----

२१. नाणुरतच्छ्रुतेरिति चेन्नेतराधिकारात् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
અણુ: = જીવાત્મા અણુ. 
ન = નથી.
અતચ્છ્રુતેઃ = શ્રુતિમાં એને અણુને બદલે મહાન ને વિભુ કહ્યો છે તેથી,
ઈતિગ્ન = તો એ બરાબર નથી.
ઈતિરાધિકારાત્ = (શ્રુતિમાં એને મહાન ને વિભુ કહ્યો છે) ત્યાં બીજાનો અથવા પરમાત્માનો પ્રસંગ છે તેથી.

ભાવાર્થ

આ અને હવે પછીના થોડાંક સૂત્રોમાં પૂર્વપક્ષીની દલીલોને રજૂ કરવામાં આવી છે. એ દલીલો આત્માને લગતી જ છે.

પૂર્વપક્ષી પોતાની વિચારણાને રજૂ કરતાં જણાવે છે કે આત્મા નિત્ય છે એ તો જણાવ્યું પરંતુ એ આવાગમનશીલ છે એવું માનીએ તો એને એકદેશીય માનવો પડશે; વિભુ નહિ માની શકાય. અને તો તો એનું નિત્યત્વ પણ ગૌણ ગણાશે.

બૃહદારણ્યક ઉપનીષદમાં કહ્યું છે કે 'પ્રાણોમાં જે વિજ્ઞાનમય આત્મા છે એ જ એ મહાન અજન્મા આત્મા છે. स वा एष महानज आत्मा योङयं विज्ञानमयः प्राणेषु । એ અને એવા બીજા કથનને અનુલક્ષીને એમ કહેવામાં આવે કે આત્માને અણુ નથી કહ્યો કિન્તુ મહાન કે વિરાટ કહ્યો છે, તો તેવું કથન બરાબર નથી. કારણ કે ત્યાં આત્માના નામથી જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તત્વ જીવાત્મા નથી પરંતુ પરમાત્મા છે. આત્મા શબ્દ ત્યાં પરમાત્માને લાગુ પડે છે એટલે ત્યાં જીવાત્મા મહાન છે એવું નથી કહેવામાં આવ્યુ; પરમાત્માને મહાન કહેવામાં આવ્યા છે. આત્મા તો અણુ જ છે.