Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

२७. साम्पराये तर्तव्याभावात्तथा ह्यन्ये ।

અર્થ
સામ્યરાયે = જ્ઞાનીને માટે પરલોકમાં.
તર્તવ્યાભાવાત્ = ભોગ દ્વારા પાર કરવા યોગ્ય કોઈ કર્મફળ બાકી નથી રહેતું એટલા માટે (એનાં પુણ્ય કર્મ પણ અહીં જ પૂર્ણ થાય છે.)
હિ = કારણ કે.
તથા = એ પ્રમાણે 
અન્યે= બીજી શાખાવાળા પણ જણાવે છે.

ભાવાર્થ
બ્રહ્મલોકની પ્રાપ્તિ કરનારા મહાજ્ઞાની પુરૂષનાં પાપકર્મોનો નાશ થાય છે, તો પછી પુણ્યકર્મો બાકી રહે છે ? શુભ સર્વોત્તમ લોકમાં તો પુણ્યકર્મોના પરિણામે જ પ્રવેશી શકાય છે, તો પછી બ્રહ્મલોક જેવા ઉત્તમ લોકમાં જવા માટે એનાં પુણ્યકર્મોનો સંચય રહેતો હશે. એવી શંકાના સમાધાન સારૂ અહીં જણાવવામાં આવે છે કે પરમજ્ઞાની પુરૂષને માટે કોઈ પ્રકારનું શુભ અથવા અશુભ, ઉત્તમ અથવા અધમ, કર્મફળ શેષ નથી રહેતું. એને જે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે તે કોઈ કર્મફળને લીધે નથી થતી. પરંતુ બ્રહ્મજ્ઞાનની નિષ્ઠાથી થતી હોય છે. એનાં શુભાશુભ કર્મો અહીં જ પૂરાં થાય છે.

બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યું છે કે 'જ્ઞાની પુરૂષ પુણ્ય તથા પાપ બંનેને અહીં જ પાર કરી જાય છે.’
उभे  उ हैवैष एते तरति ।

મુંડક ઉપનિષદમાં પણ કહ્યું છે કે 'જ્ઞાની પુરૂ, એ વખતે પુણ્ય તથા પાપને હઠાવીને પરમ પવિત્ર બનીને પરમાત્મા સાથે એક થઈને સામ્યાવસ્થાની પ્રાપ્તિ કરે છે.’
तदा विद्वान् पुण्यपापे विधूय निरंजनः परमं साभ्वमुपैति ।

---

२८. छन्दत उभयथाविरोधात् ।

અર્થ
છન્દતઃ = જ્ઞાની પુરૂષના સંકલ્પ પ્રમાણે.
ઉભયથા = બંને પ્રકારની સ્થિતિની પ્રાપ્તિમાં.
અવિરોધાત્ = કોઈ જાતનો વિરોધ નથી.

ભાવાર્થ
જ્ઞાનીને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ તથા કર્મ નાશ તો શરીર હોય છે ત્યારે અહીં જ થઈ જાય છે. છતાં પણ દેવયાનમાર્ગથી બ્રહ્મલોકમાં જઈને પરમાત્માની પ્રાપ્તિ થવાનું કહ્યું છે તેનું કારણ જ્ઞાની પુરૂષનો તેવો સંકલ્પ હોય છે. બંને પ્રકારના અવસ્થા ભેદને લીધે જ જોવા મળે છે. જે જ્ઞાની આ જ લોકમાં બ્રહ્મજ્ઞાન દ્વારા પરમાત્મા પ્રાપ્તિનો સંકલ્પ કરીને તદનુસાર પુરૂષાર્થ કરે છે તેને ક્યાંય જવાનું નથી રહેતું. તે તો અહીં જ કૃતાર્થ, મુક્ત ને પૂર્ણ થાય છે. પરંતુ જે પરમાત્માના પરમધામમાં કે બ્રહ્મલોકમાં જવાની ઈચ્છાથી સાધનામાં પ્રવૃત્ત થાય છે તે દેવયાન માર્ગથી આગળ વધીને પરમાત્માની પ્રાપ્તિ કરે છે.

---

२९. गतेरर्थवत्त्वयुभयथान्यथा हि विरोधः ।

અર્થ
ગતેઃ = ગતિબોધક શ્રુતિની. 
અર્થવત્વમ્ = સાર્થકતા.
ઉભયથા = બંને રીતે બ્રહ્મપ્રાપ્તિ માનવાથી જ થઈ શકશે.
હિ = કેમ કે.
અન્યથા = બીજી રીતે માનવાથી.
વિરોધઃ = શ્રુતિમાં પરસ્પર વિરોધ પેદા થશે.

ભાવાર્થ
પરમાત્માના પરમજ્ઞાનથી સંપન્ન જ્ઞાનીપુરૂષ બ્રહ્મલોકમાં જવાને બદલે આ લોકમાં અહીં જ પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે એવું એક જ પ્રકારનું ગતિવિષયક વિધાન માની લેવાથી ઉપનિષદનાં વચનોમાં જ વિરોધ પેદા થશે. કારણકે ઉપનિષદમાં એ બંને પ્રકારની પ્રાપ્તિનાં વર્ણનો જોવા મળે છે. બ્રહ્મજ્ઞાની પુરૂષ આ લોકમાં આ જીવન દરમિયાન જ પરમાત્માની પ્રાપ્તિ કરે છે એવું કહેવાની સાથે સાથે ઉપનિષદમાં અન્યત્ર એવું પણ જણાવવામાં આવ્યું છે કે તે બ્રહ્મલોકમાં જઈને પરમાત્માની પ્રાપ્તિથી ધન્ય બને છે.