Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

१३. तदधिगमे उत्तरपूर्वाधयोरश्लेषविनाशौ तद् व्यपदेशात् ।

અર્થ
તદ્દધિગમે = એ પરમાત્માની પ્રાપ્તિ થઈ જતાં
ઉત્તરપૂર્વાધયોઃ = આગળનાં ને પાછળનાં પાપોનો.
અશ્લેષવિનાશૌ = ક્રમશઃ  અસંપર્ક અને નાશ થાય છે.
તદ્દવ્યપદેશાત્ = કારણ કે શ્રુતિમાં એ જ વાત કહેવામાં આવી છે.

ભાવાર્થ
પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયા પછી સર્વ પ્રકારના પાપકર્મો શાંત થાય છે. પાપબુદ્ધિ હોય કે પાપકર્મ થયા કરતાં હોય ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નથી થઈ શકતી. તે છતાં સાક્ષાત્કાર પહેલાં થયેલા પાપો સાક્ષાત્કારથી મટી જાય છે. અને સાક્ષાત્કાર થયા પછી તો પાપબુદ્ધિ રહેતી ના હોવાથી પાપકર્મ કરવાનો સંભવ જ નથી રહેતો.

---

१४. इतरस्याप्येवमसंश्लेषः पाते तु ।

અર્થ
ઈતરસ્ય = પુણ્યકર્મોનો. 
અપિ = પણ.
એવમ્ = એવી રીતે.
અસંશ્લેષઃ = સંબંધ નથી રહેતો અને નાશ થાય છે. એવું સમજવું જોઈએ.
પાતે તુ = દેહપાત પછી તો તે પરમાત્માને પ્રાપ્ત થાય જ છે.

ભાવાર્થ
પરમાત્માની પ્રાપ્તિ કરી ચૂકેલા મહાપુરૂષનો સંબંધ પાપ કર્મોની પેઠે પુણ્ય કર્મોની સાથે પણ નથી રહેતો. પહેલાં કરાયલાં અને ભવિષ્યમાં કરવામાં આવનારાં પુણ્ય કર્મોનો પ્રભાવ પણ એની ઉપર નથી પડતો. શરીરના ત્યાગ પછી તો એના પ્રારબ્ધનો પણ અંત આવે છે અને એ પરમાત્માને મેળવી લે છે.

---

१५. अनारब्धकार्ये एव तु पूर्वे तदवधेः ।

અર્થ
તુ = પરંતુ.
અનારબ્ધકાર્યે = જેમના ફળભોગરૂપી કાર્યનો આરંભ નથી એવાં.
પૂર્વે = પૂર્વકૃત પુણ્ય અને પાપ.
એવ = જ નાશ પામે છે.
તદવધેઃ = કારણ કે શ્રુતિમાં પ્રારબ્ધ કર્મના રહેવા સુધી શરીર રહેવાની અવધિ નિર્ધારિત કરવામાં આવી છે.

ભાવાર્થ
હવે પ્રશ્ન એ થાય છે કે પરમાત્મ પ્રાપ્ત મહાપુરૂષનાં ભૂતકાળનાં ને ભાવિનાં સઘળાં પુણ્ય કર્મો તથા પાપકર્મો નાશ પામે છે તો પછી એનું શરીર શા માટે ટકે છે ? શરીર તો કર્મફળના ઉપભોગને માટે જ રહેતું હોય છે, એટલે એવા મહાપુરૂષનાં કર્મો શેષ રહે છે એવું જ માનવું જોઈએ. એવી જિજ્ઞાસાના જવાબમાં આ સૂત્રમાં જણાવે છે કે તે તો ફળ આપવાનો આરંભ નહિ કરી ચૂકેલા સંચિત પુણ્ય કર્મો અને પાપ કર્મોનો જ કહેવામાં આવ્યો છે.