તારે શરણે આજ આવી, છાંયડી શીતળ ધરી દે...
તજી તારે કાજ મેં આ જગતની જંજાળ સઘળી;
જીવનભરની પ્રાર્થના ને પ્રતીક્ષા પૂરી કરી દે...તારે...
ભૂલ થાયે કદી જો કોઈ માફ કરજે માત મારી;
વ્હાલની વર્ષા કરીને તાપ તીખા સૌ હરી લે...તારે...
ઠોકરો વાગે ભલે મન ડરે તેમ ડગે નહીં;
વિરોધો વિપરીતતામાં સાથ મારી તું ફરી લે...તારે...
રથ સદા હંકારજે મુજ પૂર્ણતાના પથ ઉપર;
સૂક્ષ્મરૂપે રક્ષતાં શ્રદ્ધા તથા ભક્તિ ભરી દે...તારે...
મંત્રજપમાં મન લગાડી પ્રાણ પૂરી પ્રાર્થનામાં;
કરીને એકાગ્ર ધ્યાને દિવ્યદર્શનને દઈ દે...તારે...
MP3 Audio
રચના સમયના મનોભાવો
ભક્ત ભગવાનને શરણાગતભાવે પ્રાર્થે છે.
ભગવાન માટે ભક્ત જગજંજાળને છોડે છે. અંતરે એક જ પ્રાર્થના રહે છે કે ભગવાન મળે.
ભક્ત શ્રદ્ધાભક્તિથી ભગવાનને વિનવતો હોય ત્યારે પણ કોઈ અવિનય-અવિવેક થઈ જાય તો ભગવાન માતા બનીને એ અપરાધોને ક્ષમા કરે એવી અપેક્ષા ભક્ત રાખે છે. મા તો બાળકના અપરાધોને ભૂલીને બાળકના સર્વ તાપોને હરી લે છે. માતાના વ્હાલમાં એવું દૈવીતત્વ હોય છે. એ જ માના સ્વરૂપે ભગવાન પણ વ્હાલ કરે એવું ભક્ત ઈચ્છે છે.
પ્રભુપંથે આઘાતો આવે, વિરોધો આવે ત્યારે પણ મનને સ્થિર રાખવાનું ભક્ત પ્રાર્થે છે. જીવનરથ તારા પૂર્ણ પ્રદેશ તરફ જ આગળ વધે ત્યારે સૂક્ષ્મ રીતે રક્ષા કરજે, પ્રભુ !
અંતે, મંત્રજપની સાધનાને પૂર્ણ કરી પ્રભુનાં દિવ્ય-અલૌકિક દર્શનનું દાન મળી જાય એવી માંગણી ભક્ત ભગવાનને કરતો રહે છે.