મને સાથ ધર્યો, મારો થાક હર્યો,
મારા જીવનમાં આનંદ ભર્યો.
તપવેદનથી ભરી વાટ મહીં,
મન શાંતિ રહ્યું ન જરાયે લહી;
પ્રતિકૂળ પ્રસંગને પાર કરી,
કરી સેવા તો સહેજે સિદ્ધિ મળી...મને...
ગતિ થાત શું મારી, જાણું નહીં,
પણ અરજી પ્રભુએ ઉરમાં ધરી;
મારા પ્રેમની પ્યાલી પૂર્ણ ભરી,
અનુગ્રહની ધાર અનંત વહી...મને...
ઓથ મળી નટવર નાગરની,
હવે ફિકર નથી ભવસાગરની;
હું તો મસ્ત બનીને મ્હાલી રહી,
મળવાનું ગયું મને સર્વ મળી...મને...
MP3 Audio
રચના સમયના મનોભાવો
જીવનના કપરા ચઢાણમાં પ્રભુનો સાથ મળે તો ? જીવન જીવવા જેવું લાગે. થાકમાંથી નિવૃત્ત થઈને જીવન સુંદર વિશ્રામસ્થાન બની જાય.
શરૂઆતમાં તો પ્રતિકૂળતા આવે જ, પરન્તુ એમાંથી પણ પ્રભુ પાર ઉતારે છે એ અનુભવે જીવનમાં સર્વકાળે આનંદ જ રહે છે.
સંસારમાં કોઈ વ્યક્તિવિશેષની, સ્વજનોની કે માબાપની ઓથ મળે છે, પણ તેવી ઓથ ભવસાગરને પાર કરવામાં એટલી બધી મદદરૂપ થતી નથી. પ્રભુની ઓથ નિશ્ચિંત બનાવીને ભવસાગર પણ પાર કરાવે છે.
તપ અને વેદનાભરી જીવનવાટે ભાવિ શું હતું તે બાબતથી તો અજાણ હતી, પણ પુણ્યોદય થતાં સમયસર પ્રભુએ અનુગ્રહની વર્ષા વરસાવી અને જે મેળવવાનું હતું તે સર્વ મેળવી આપ્યું. એથી જીવન આનંદિત બનીને આ રીતે ગાઈ ઊઠયું.