આજ તો વાર્તાલાપ કર્યો !
કૃપા કરીને મારી સાથે વાર્તાલાપ કર્યો ... આજ તો.
બ્રાહ્મમુહૂર્ત સમયમાં આવી રેલ્યો સ્વર મધુરો,
અમૃતવર્ષા કરી પ્રેમથી, મનનો ભાર હર્યો ... આજ તો.
સિતારસ્વરથી મીઠા સ્વરનો દૈવી સ્વાદ ધર્યો;
નીરસ પ્રાણ પ્રસન્ન કરીને રસથી છેક ભર્યો ... આજ તો.
પરોક્ષ કિન્તુ રહીને શાને વાર્તાલાપ કર્યો ?
પ્રકટ થઈને કેમ ન બોલ્યાં, વિરહ ન કેમ હર્યો ? ... આજ તો.
રૂપ છુપાવી કેવલ બોલ્યાં, તેથી ન હેતુ સર્યો;
રૂપ બતાવ્યું હોત ચારુ તો હોત ત્રિતાપ તર્યો ... આજ તો.
પ્રતીક્ષા કરું એ પળની હું, વાર હવે ન કરો;
પ્રકટ બનો તો રૂપ નિહાળું, ‘પાગલ’ પ્રાણ વર્યો ... આજ તો.
- © શ્રી યોગેશ્વરજી