પંથ વચગાળે જ જોજે ના પુરો કરતો,
પરિશ્રમ ને થાકથી જોજે નહીં ડરતો;
હતાશ થઈ બેસતો ના, આહ ના ભરતો,
પંથ વચગાળે જ જોજે ના પુરો કરતો.
દૃઢ કર્યે નિરધાર કૈંય કઠિન રહેશે ના,
પીગળી પર્વત જશે, સંકટ રહેશે ના;
નદીનાળાં માર્ગ કરશે, ભેખડો પડશે,
વિઘ્ન બાધા વળી ગ્રહ ના પછીથી નડશે.
આશશ્રદ્ધા ધરી હિંમત પ્રગતિ તું કરજે,
પરિશ્રમ પ્રસ્વેદથી તો લેશ ના ડરજે;
મોતના મુખમાં સદાયે સ્મિત કર્યા કરજે,
શીશ હાથમહીં લઈને સૃષ્ટિમાં ફરજે.
કહે ‘પાગલ’ ધ્યેયમાર્ગે નિરંતર ધપજે,
મળી તો ધ્રુવપદ જશે, શ્રદ્ધાથકી ધપજે;
પરિશ્રમ સાર્થક થશે, આનંદનિધિ મળશે,
આજનું વિષ કાલ પલટાઈ સુધા ધરશે.
- © શ્રી યોગેશ્વરજી