પ્રેમપંથનો અંત ન આવે,
જો ન કૃપા વરસાવો,
ધ્રુવપદ પણ કોઈ ના પાવે,
જો ન કૃપા વરસાવો.
પ્રેમપંથનો અંત ન આવે.
તમારા વિના સાધન સૂકાં,
રસ તેમાં ના લાગે;
અંગુલિ મૂકો પ્રેમ કરીને
ત્યારે વીણા વાગે.
પ્રેમપંથનો અંત ન આવે.
જીવનનો આનંદ ન માયે,
કરુણા જો વરસાવો;
શાંતિ તેમ ના સુધા સમાયે,
કરૂણા જો વરસાવો !
પ્રેમપંથનો અંત ન આવે.
તેથી ‘પાગલ’ તલસે તમને,
આજ સવેળા આવો,
મનમંદિરમાં ભલે વિરાજો,
ક્યાંય પછી ના જાઓ !
પ્રેમપંથનો અંત ન આવે.
- © શ્રી યોગેશ્વરજી

