કૃપા વિના ના તરે, માનવી કૃપા વિના ના તરે !
કોટિ ઉપાયો કરે, માનવી કૃપા વિના ના તરે !
સાધનસાગર ભીષણ ઉછળે, ઘોર ગર્જના કરે;
એકલ હાથે, એને નાથે, કોઈ કેમ તરે ? ... માનવી.
અહંકારમાં મત્ત બને તે અથડાઈને મરે;
મમતા મદમાં મગન બન્યાને કેમ કિનારો મળે ? ... માનવી.
નાવ ગમે તેવું હો તોયે હેતુ ન તેથી સરે;
નાવિક હાથે સલામત બને બહાર ને નીકળે ... માનવી.
જ્ઞાન યોગના સાધનથી ના પ્રાણપિપાસા ટળે;
કૃપા કરો તો નિસ્સાધનને ઉત્તમ પદવી મળે ... માનવી.
જ્ઞાની યોગી ભક્ત થયો ના તેથી તો હું ખરે;
શરણાગત બાલક છું બનિયો, પ્રાણ પુકાર કરે ... માનવી.
માત બની પ્રેમે તારો તો ‘પાગલ’ બાલક તરે;
મારો તો જ મહાન મહારો વિરહાસુર મરે ... માનવી.
- © શ્રી યોગેશ્વરજી

