પ્રાર્થનાનું મહત્વ નાનામોટા બધા જ ધર્મોમાં લગભગ સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યું છે. સંસ્કૃતિના ઉષઃકાળથી માંડીને આજ સુધી માનવે પ્રાર્થનાનો આધાર લીધો છે, એમાંથી પ્રેરણા મેળવી છે અને પથપ્રદર્શન પ્રાપ્ત કર્યું છે. પ્રાર્થનાનો આધાર આબાલ-વૃદ્ધ, સાક્ષર-નિરક્ષર, સૌ કોઈ લઈ શકે છે અને એ સૌને માટે સૌ સંજોગોમાં શ્રેયસ્કર ઠરે છે.
પ્રસ્તુત પુસ્તકમાં પ્રાર્થનાની મહત્તા, ઉપયોગિતા અથવા શ્રેયસ્કરતાની ચર્ચાવિચારણા કરવામાં આવી છે. વિશેષ વાત એ પણ છે કે એમાં પ્રાર્થનાથી થતા ભૌતિક અને આધ્યાત્મિક લાભના પ્રસંગોને ઉદાહરણ તરીકે સમાવી લેવાયા છે જેથી વાચકોને પ્રાર્થના કરવાનું પ્રોત્સાહન મળે. જો આ પુસ્તકના પરિશીલનને પરિણામે વાચકોમાં પ્રાર્થનાની પવિત્ર પ્રવૃત્તિ પ્રત્યે પ્રેમ પ્રગટે અને તેઓ આધ્યાત્મિક સાધનામાં આગળ વધે તો શ્રી યોગેશ્વરજીનું લેખન સાર્થક ગણાશે. | | |