મસુરી.
તા. ૨૧ જુલાઈ, ૧૯૬૪
પ્રિય નારાયણભાઈ,
પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. તમારા પિતાજીનો તમારા જીવન ઘડતરમાં ઘણો મોટો ભાગ હતો એટલે એમના અવસાનથી વધારે લાગી આવે એ સ્વાભાવિક છે. અમારા પર પણ એમને સારી લાગણી હતી. છતાં પણ હવે સાંત્વન મેળવવા સિવાય બીજો રસ્તો નથી રહ્યો. ઈશ્વરે એમના આત્માને શાંતિ જરૂર આપી હશે કેમ કે એ પવિત્ર ને ઉચ્ચ કોટિના આત્મા હતા.
મહિમ્ન બાબત મેં મુંબઈ લખી દીધું છે. હવે તો કદાચ ત્યાંથી કાગળની વ્યવસ્થા પણ થઈ ગઈ હશે. પુસ્તક જલ્દી પૂરું થઈ જાય તો સારું.
અહીં રહેવાનું પહેલા કરતાં સારું છે. મારાં પ્રવચનો પણ રોજ સાંજે છ થી સાત ચાલે છે. ને ઘણાં લોકો લાભ લે છે. ઠંડી ને વરસાદ છે છતાં આનંદ આવે છે.
તમારી બદલી બાબત જે નક્કી થાય તે જણાવજો. ઈશ્વર બધુ સારું જ કરશે. મોંઘવારીએ તો માઝા જ મૂકી છે. સામાન્ય માણસને માટે જીવન જીવવાનું મુશ્કેલ બન્યું છે. સરકારે એ બાબત ત્વરિત ને જલદ પગલાં ભરવાની જરૂર છે. સૌથી પહેલું ને મોટું રાષ્ટ્રીય કર્તવ્ય આજે એ જ છે.
જપ ને પ્રાર્થના નિયમિત કરજો. જીવન ઝડપથી વહી રહ્યું છે. અમે આનંદમાં છીએ.