માર્યા રે મોહનાં બાણ, ધુતારે
મને માર્યા મોહના બાણ.
ધ્રુવને માર્યા, પ્રહલાદને માર્યા,
તે ઠરી ના બેઠા ઠામ;
શુકદેવને ગર્ભવાસમાં માર્યા,
તે ચારે યુગમાં પરમાણ ... માર્યા રે મોહનાં.
હિરણ્યકશ્યપ મારી વા’લે ઉગાર્યો પ્રહલાદ
દૈત્યનો ફેડ્યો છે ઠામ;
સાયર પાજ બાંધી વા’લે સેના ઉતારી,
રાવણ હણ્યો એક બાણ ... માર્યા રે મોહનાં.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
અમને પાર ઉતારો શ્યામ ... માર્યા રે મોહનાં.
- મીરાંબાઈ