મુસીબત આવે મારા જીવનમાં કો’ક,
આંસુ સારી બેસી રહું ત્યારે નહીં ફોક;
શોકિત થઈને ત્યારે મ્લાન ના બનું,
જીવનનો રસ વળી લુપ્ત ના ગણું.
ચિંતા વધે તેમ જ્યારે માર્ગ ના મળે,
વિલાપ ઘડી બે ઘડી અંતર કરે;
નિરાશ થઈને ત્યારે બેસી ના રહું,
કાયર હતાશ જેવી વાણી ના કહું.
યાત્રા ભલે જીવનની એકલી જ હો,
હિંમત ને સાંત્વન ના ભલે ધરે કો’;
અડગ બનીને તોયે પંથ કાપું હું,
હસતો રહીને સદા આગે જ બઢું.
સંકટ આવે ભલેને શરણ લઉં,
હરદમ હર સ્થળ તમારો જ થઉં.
કામના કૃપાની કરું તમારી હું નિત,
તમારી આશિષ પામી પામી રહું જીત.
‘પાગલ’ થઈ તમારા પ્રેમમહીં હું,
તમારો બની રહું તો કષ્ટ કરે શું ?
(૩૧-૧-૧૯૫૮, શુક્રવાર)
– © શ્રી યોગેશ્વરજી