ઉરને શાંતિ કેમ જ થાય ?
એને વસવસો શે થાય ?...ઉરને
પ્રાણાયામ કરે, ધ્યાન ધરે, શાસ્ત્રાભ્યાસ કરાય,
તીર્થાટન ને તપવ્રત સાધે મટે ન એની લહાય ...ઉરને
શાંતિ તણો સાગર છે અંદર ઉછળે શુદ્ધ સદાય,
સ્નાન કરી લે એમાં સ્નેહે એ જ અમોઘ ઉપાય ...ઉરને
શાંતિરૂપ સ્વયં આત્માને પ્રેમપૂર્ણ પમાય,
મહોત્સવ બને જીવન તો આ, બંધનમુક્ત બનાય ...ઉરને
- શ્રી યોગેશ્વરજી