પ્રેમ કરી પોકારી લે તો ઉત્તર દેશે એ,
સત્વર સુણશે આતુરતાથી લેશ તો પ્રાર્થી લે.
ઝંખ જરીક તો જીવન દેશે દૂર કરી જડતા,
ચાહી લે તો તારા દૂર કરી દેશે પ્રાણના પડદા.
માગ કૃપા તો કૃપા કરશે એ પાથરી પ્રાણમાં પ્રેમ,
શાશ્વત શાંતિ દેશે તને સાચે પૂર્ણ કરી દેશે તેમ.
જાગી જાયે જીવમાં જો તૃષા તો દૂર રહે ના એ,
અમૃતની થાય વર્ષા પછી ત્યાં લેશ ટકે વિષ શેં ?
આંસુ સારી લે તો આનંદ દેશે, ત્યાગ તો પામશે ભોગ,
પ્રેમનો રોગી બની જા તો તારો નાસશે સઘળો રોગ.
સર્વસમર્પણ જો તું કરે તો સંપત્તિ સર્વ મળે,
ડૂબી જા ભાવમહીં તો તરે ને દીનતા તારી ટળે.
યારી કરી લે તું એની તો ખરે યારી કરી લેશે એ,
વ્યાકુળ થા તો સત્ય કહું છું દેશે દર્શનને.
- શ્રી યોગેશ્વરજી