દર્શન કરી તમારું મુજને આનંદ ઘણો થાય,
હિલોળે ચઢે હૈયું મારે મલકાટ ન માય.
રૂપ તમારું કેવું સુંદર, શીતળ આંખો થાય,
જોતાંવેંત જ દુઃખ ટળે ને ચિંતા નાસી જાય.
મિલ્કત કોઈ મળી ગઈ હો મોટી લાગે એમ,
કૃતાર્થતા અંતરની મારી કહી બતાવું કેમ ?
મંગલ મૂર્તિ જોઈ મુજને થાય ખાતરી એમ,
મળવા જેવું મળી ગયું છે, હતી જેહની નેમ.
શિરડીના ઓ સાઈ, તમને જોઈ મુજને થાય,
રૂપ તમારું છોડી મારું મનડું ક્યાંય ન જાય !
- શ્રી યોગેશ્વરજી