समे शुचौ शर्करावह्निवालिका विवर्जिते शब्दजलाश्रयादिभिः ।
मनोनुकूले न तु चक्षुपीडने गुहानिवाताश्रयणे प्रयोजयेत् ॥१०॥
same suchau sarkaravahnivalika-
vivarjite sabdajalasrayadibhih ।
manonukule na tu chaksupidane
guhanivatasrayane prayojayet ॥ 10॥
સમાન ને હો શુદ્ધ ભૂમિ, ત્યાં તાપ કાંકરા ધૂળ ન હો,
અવાજ ના હો, જળ ને સ્થળ જ્યાં ઘણા લોક માટે ના હો;
મન ને નેત્રોને ગમનારા ગુફાસમા એકાંત સ્થળે,
મનને ધ્યાન લગાવવાનો સાધક હો તે યત્ન કરે. ॥૧૦॥
અર્થઃ
સમે - સમતલ
શુચૌ - શુદ્ધ
શર્કરાવહ્નિવાલુકાવિવર્જિતે - કાંકરા, અગ્નિ, રેતીથી રહિત
શબ્દજલાશ્રયાદિભિઃ - શબ્દ, જલ, આશ્રય આદિની દ્રષ્ટિથી
અનુકૂલે - અનુકૂળ
તુ - અને
ન ચક્ષુપીડને - આંખને પીડા ના પહોંચાડનારા
ગુહાનિવાતાશ્રયણે - ગુફા જેવા પવનરહિત સ્થાનમાં
મનઃ - મનને
પ્રયોજયેત્ - ધ્યાનમાં જોડવું.
ભાવાર્થઃ
ધ્યાનના સાધકે સ્થાનની પસંદગીમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. ધ્યાનના અંતરંગ અભ્યાસ માટે જે પણ સ્થાન પસંદ કરવામાં આવે તે સ્થાન ખાડા-ટેકરા વગરનું, સીધું, સપાટ અથવા સમતલ હોવું જોઇએ. કાંટા, કાંકરા, તથા વધારે પડતી ગરમી અથવા પ્રખર સૂર્યપ્રકાશથી મુક્ત હોવું જોઇએ. મનમાં વિક્ષેપ પેદા કરનારો બહારનો કોલાહલ કે અવાજ ત્યાં ના થતો હોય એ જરૂરી છે. એ સ્થાન પાણીની સગવડવાળું અને આવાસ માટે સર્વપ્રકારે અનૂકુળ હોવું જોઇએ. ગુફા જેવું વધારે પડતા વાયુપ્રવેશથી રહિત સ્થળ હોય તો વધારે સારું. પરંતુ એવા અંધારા ભરેલા સ્થળમાં આંખને વધારે પડતો શ્રમ ના પડે અથવા જોવાની તકલીફ ઉભી થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. એવા સુંદર, શુદ્ધ, સરખા, સાનુકૂળ, શાંત સ્થાનમાં ઉત્સાહયુક્ત અંતરથી વિધિપૂર્વક આસન પર બેસીને ધ્યાનની સાધનાનો આરંભ કરવો.