एको हि रुद्रो न द्वितीयाय तस्थु र्य इमांल्लोकानीशत ईशनीभिः ।
प्रत्यङ् जनास्तिष्ठति सञ्चुकोचान्तकाले संसृज्य विश्वा भुवनानि गोपाः॥२
eko hi rudro na dvitiyaya tasthu-
rya imamllokanisata isanibhih ।
pratyan janastisthati sanchukochantakale
samsrjya visva bhuvanani gopah ॥ 2॥
પોતાના શાસનબલથી જે સંચાલન જગનું કરતા,
તે પરમાત્મા એક જ છે, છે શક્તિ બધી તેની જગમાં;
તેથી જગના કારણરૂપે બીજો કોઈ છે ન કહ્યો,
સૌને રક્ષે, પાળે, અંતે લીન કરે, સૌમાંય રહ્યો. ॥૨॥
અર્થઃ
યઃ - જે
ઇશનીભિઃ - પોતાની વિવિધ શાસન-શક્તિથી
ઇમાન્ - આ બધા
લોકાન્ ઇશતે - લોકો પર શાસન કરે છે.
(સઃ) રુદ્રઃ - તે રુદ્ર
એકઃ હિ - એક જ છે.
(એટલા માટે જગતના કારણને વિચારનારા વિદ્વાનોએ)
દ્વિતીયાય ન તસ્થુઃ - બીજાનો આશ્રય ના લીધો
(સઃ - તે પરમાત્મા)
જનાન્ પ્રત્યંઙ - સર્વે જીવોની અંદર
તિષ્ઠતિ - રહેલા છે.
વિશ્વા - સંપૂર્ણ
ભુવનાનિ સંસૃજ્ય - લોકોને સરજીને
ગોપાઃ - એમની રક્ષા કરનારા પરમાત્મા
અન્તકાલે - પ્રલય વખતે
સંચુકોચ - એ સૌને સંકેલી લે છે.
ભાવાર્થઃ
એક જ પરમાત્મા પોતાની અનંત શક્તિથી સમસ્ત સંસાર પર શાસન કરે છે. એમની શક્તિ વિવિધ હોવા છતાં એ તો એક જ છે. વિચારકો તથા વિદ્વાનોએ એમને સમસ્ત સૃષ્ટિના કારણ કહ્યા તે બરાબર જ છે. સૃષ્ટિના મૂળ કારણ અથવા આધાર એમના સિવાય બીજા કોઇ જ નથી. એ સર્વત્ર રહેલાં છે, સંપૂર્ણ સૃષ્ટિને સરજે છે. રક્ષે છે, અને અંતે એને પોતાની અંદર સમાવી લે છે. એમની શક્તિ અજોડ અને અનિર્વચનીય છે.