द्वे अक्षरे ब्रह्मपरे त्वनन्ते विद्याविद्ये निहिते यत्र गूढे ।
क्षरं त्वविद्या ह्यमृतं तु विद्या विद्याविद्ये ईशते यस्तु सोऽन्यः ॥१॥
dve aksare brahmapare tvanante
vidyavidye nihite yatra gudhe ।
ksaram tvavidya hyamrtam tu vidya
vidyavidye isate yastu so'nyah ॥ 1॥
બ્રહ્માથી પણ જે ઉત્તમ છે, અનંત ને અવિનાશી છે,
વિદ્યા તથા અવિદ્યા જેને આશ્રય છે, તે બ્રહ્મ જ છે.
જડ પ્રકૃતિને કહી અવિદ્યા, તે પરિવર્તનશીલ સદા,
નિત્ય જીવ છે વિદ્યા, તે બંનેના શાસક અન્ય રહ્યા. ॥૧॥
અર્થઃ
યત્ર - જે
બ્રહ્મપરે - બ્રહ્માથી પણ ઉત્તમ
ગૂઢે - છૂપાયેલા
અનન્તે - અસીમ, અનંત
તુ - અને
અક્ષરે - અવિનાશી પરમાત્મામાં
વિદ્યાવિદ્યે - વિદ્યા અને અવિદ્યા
દ્વે - બંને
નિહિતે - રહેલાં છે. (તે જ બ્રહ્મ છે.)
ક્ષરમ્ - વિનાશશીલ જડવર્ગને
તુ - તો
અવિદ્યા - અવિદ્યા કહેવામાં આવે છે.
તુ - અને
અમૃતમ્ - અવિનાશી જીવસમુદાય
હિ - જ
વિદ્યા - વિદ્યા કહેવાય છે.
તુ - તથા
યઃ - જે
વિદ્યાવિદ્યે ઇશતે - વિદ્યા અને અવિદ્યા પર શાસન કરે છે.
સઃ - તે
અન્યઃ - એ બંનેથી જુદા, બીજા જ છે.
ભાવાર્થઃ
ઉપનિષદના આ શ્લોકમાં વિદ્યા અને અવિદ્યા વિશે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. એ સ્પષ્ટીકરણ પછી વિદ્યા અને અવિદ્યાનાં અલગ અલગ અર્થઘટનોનો અંત આવવો જોઇએ. જે સ્થિર નથી પરંતુ ચંચળ છે, પરિવર્તનશીલ અથવા વિનાશી છે, તે જડ વર્ગને અથવા અપરા પ્રકૃતિને અવિદ્યા કહેવામાં આવે છે. જે મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અપરિવર્તનશીલ, અવિકારી, અવિનાશી અથવા નિત્ય છે તે જીવને અથવા પરા પ્રકૃતિને વિદ્યા કહેવામાં આવે છે. અને વિદ્યા તેમજ અવિદ્યા અથવા જીવતત્વ તથા પ્રકૃતિના જે સ્વામી, સૂત્રધાર અથવા અધીશ્વર છે તે પરબ્રહ્મ પરમાત્મા છે. જીવ અને જગત અથવા જડવર્ગ કરતાં એ તદ્દન જુદા, વિશિષ્ટ કે વિલક્ષણ છે.