स्वभावमेके कवयो वदन्ति कालं तथान्ये परिमुह्यमानाः ।
देवस्यैष महिमा तु लोके येनेदं भ्राम्यते ब्रह्मचक्रम् ॥१॥
svabhavameke kavayo vadanti
kalam tathanye parimuhyamanah ।
devasyaisa mahima tu loke
yenedam bhramyate brahmachakram ॥ 1॥
પદાર્થની સ્વાભાવિક શક્તિ તે જ જગતનું કારણ છે,
વળી કહે કોઈ કે કાળ જ- સમય જગતનું કારણ છે;
પરંતુ તે છે મોહગ્રસ્ત સૌ, સાચું કારણ ના જાણે,
સૌનાયે સ્વામી ઈશ્વરથી ચક્ર જગતનું આ ચાલે. ॥૧॥
અર્થઃ
એકે - કોઇ એક પ્રકારના
કવયઃ - વિદ્વાનો
સ્વભાવમ્ - સ્વભાવને
વદન્તિ - જગતનું કારણ કહે છે.
તથા - એવી રીતે
અન્યે - અન્ય વિચારકો અને વિદ્વાનો
કાલમ્ - કાળને કારણ કહે છે.
(એતે) પરિમિહ્યમાનાઃ (સન્તિ) - તે મોહગ્રસ્ત હોવાથી યથાર્થ કારણને જાણતા નથી.
તુ - ખરી રીતે તો
એષઃ - આ
દેવસ્ય - પરમાત્માનો
લોકે - જગતમાં ફેલાયેલો
મહિમા - મહિમા છે.
યેન - જેનાથી
ઇદમ્ - આ
બ્રહ્મચક્રમ્ - બ્રહ્મચક્ર
ભ્રામ્યેત્ - ફેરવવામાં આવે છે.
ભાવાર્થઃ
વિદ્વાન કે વિચારકોનો એક વર્ગ એવો છે કે જે સ્વભાવને જ જગતનું મૂળ કારણ માનીને જગત પોતાના પ્રાકૃતિક સ્વભાવથી જ પ્રાદુર્ભાવ પામે છે એવું સમજે-સમજાવે છે. વિદ્વાનો કે વિચારકોનો બીજો વર્ગ જગતના મૂળ અથવા કારણ તરીકે કાળને માને છે. પરંતુ એ વિચારકોની માન્યતા યથાર્થ નથી. એમને જગતની પાછળ રહેલી પરમાત્માની પરમ સત્તાનો ખ્યાલ નથી. એ પરમાત્માને લીધે જ જગતનું પ્રાકટ્ય થાય છે. જગત પરમાત્માના પ્રકટ મહિમા જેવું છે. એના રૂપમાં એ પરમ મહિમામય મગંલ મહિમાનું દર્શન કરવું જોઇએ. જગતનું ચક્ર એ પરમાત્માને લીધે જ ચાલ્યા કરે છે. એના મૂળ કારણ કે મુખ્ય કારણ પરમાત્મા જ છે.