બધાંને આનંદ છે, મારે જ એક વ્યથા,
ઉડાવે લિજ્જત બધાં, મારી કરુણ કથા.
નજર નાખું ત્યાં જણાયે ખૂબ ઉડતો રંગ,
નથી ચિંતા લેશ કે આનંદનો યે ભંગ.
માણસો મશગુલ બન્યા છે વિવિધ કૈં કામે,
ખાય પીએ લહેર કરતા પર્વને નામે;
પોતપોતાની સમજ શક્તિ પ્રમાણે સૌ,
લ્હાવ લે છે, લ્હાવ દે છે, વ્યથા વિસરી સૌ.
દિવસ છે એવા અનેરા દિવાળીના આ,
દીન આર્ત અનાથ પણ પ્રેરાય ઉત્સવમાં;
હરખતા રોગીજનો પણ લૂંટતા રસ શા !
હું ય લૂંટું, પણ તમારા વિના રસ છે ક્યાં !
બધાંને આનંદ છે, મારે જ એક વ્યથા,
ઉડાવે લિજ્જત બધાં મારી કરુણ કથા.
પર્વના દિવસો થવાના હવે છેક પુરા,
માનવી ફરશે ફરીથી ધરી કર્મધુરા;
કિન્તુ વદને ચમકશે આનંદની છાયા,
ઊડાવી લિજ્જત કરી દેશે જુદી કાયા.
પર્વ મારી જિંદગીમાં ક્યાં હજી આવ્યું ?
પર્વ ઉત્સવપણ તમારા વિના ક્યાં લાવ્યું ?
બધાંને આનંદ છે, મારે જ એક વ્યથા,
ઉડાવે લિજ્જત બધાં મારી કરુણ કથા.
છતાં આજે અનુભવું આનંદ થોડો હું,
સમાધાન કરું વિચારી ચિત્તનું પણ હું;
ઉચ્ચ હેતુ તણો થઇ જે યજ્ઞ આજ રહ્યો,
યજ્ઞમાં તે થઇ આહુતિ હું અખંડ રહ્યો.
શોક શાને તો પછી, શાને નિરાશા તો ?
વ્યથામાં યે આટલો સુખશ્વાસ હું ભરતો.
આજના મંથન થકી માખણ થશે કાલે,
ઉષાક્રાંતિ થકી પ્રકાશે ભાનુ નભભાલે,
તેમ ક્રાંતિથકી પ્રકટશે નવલ કો ભાનુ,
એ સજી શ્રદ્ધા વ્યથામાં મધુરતા માણું.
તમારી પ્રાપ્તિ વિના ક્યાં છે અખંડાનંદ ?
સનાતન છે શાંતિ કોને; મળે કોને રંગ ?
ઇન્દ્ર તેમ કુબેરના યે રંગ થાયે ભંગ,
વિષાદે પલટાય પાછા માનવી રંગ.
વ્યથા બાદ પરંતુ મુજને રંગ મળશે જે,
છેક નૂતન ને અખંડ હશે સનાતન તે
આજ જ્વાળા વિરહની કાલે મિલન માળા,
વ્યથા આજે કાલ તેથી થશે રસ ધારા.
એ ધરી વિશ્વાસ આપે તપું તેમ જલું,
સહુ સંકટ, વેદના વરસે છતાં ન હલું.
બની આશીર્વાદ અભિનવ દિવ્ય આવો આજ,
થાય તો આનંદ મારે, મળી જાયે રાજ.
બધાંને આનંદ છે, મારે જ એક વ્યથા,
ઉડાવે લિજ્જત બધાં મારી કરુણ કથા.
- શ્રી યોગેશ્વરજી