તું ભજન કરી લે, ભવસાગરનો એ વિના ઉપાય નથી,
તું ભજન કરી લે, ભવસાગરનો એ વિના કંઈ તાગ નથી !
જે, ભજ્યા તે તર્યા, ભવસાગરથી પાર થયા આનંદથકી,
દુ:ખમાં શાને સપડાયે, તારે હૈયે લેને નામ લઈ ... તું ભજન કરી લે
કરને નારદને, શબરીને, ગોપીને યાદ જરી મનથી,
મીરાં ને નરસી, ઘ્રુવ, પ્રહલાદ તર્યાં પ્રભુનો આધાર લઈ ... તું ભજન કરી લે
છે ભજન એક ઔષધ, માયાના રોગ જાય સઘળાય મટી;
છે ભજનરસ ખરે ભવસાગરના આધિવ્યાધિ સૌ જાય ટળી .... તું ભજન કરી લે
વધુ વચને શે સમજાવું તને છે ભજનવિના ઉદ્ધાર નહીં,
છે ભજન થકી જ ભર્યા ભંડાર કદીયે ખાલી થાય નહીં ! ... તું ભજન કરી લે
- શ્રી યોગેશ્વરજી