४५. अपि च स्मर्यते ।
અર્થ
અપિ = એ ઉપરાંત.
સ્મર્યતે ચ = એવું જ સ્મરણ કરવામાં આવ્યું છે.
ભાવાર્થ
શ્રુતિમાં તો એવું વર્ણન જોવા મળે જ છે. પરંતુ સ્મૃતિમાં પણ એનો અભાવ નથી.
ગીતામાં કહ્યું છે કે 'હે ગુડાકેશ ! સર્વ ભૂતોના હૃદયમાં રહેલો આત્મા હું છું.’
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः ।
'સૌના હૃદયમાં હું વિરાજમાન છું .’
सर्वस्य चाहं हदि संनिविष्टः ।
'અથવા અર્જુન ! એ બધું જાણીને શું કરવું છે ? તું એટલું જ જાણી લે કે મારા એક અંશથી હું આ સમસ્ત જગતને ધારણ કરી રહ્યો છું.
अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन ।
विष्टभ्याहभिदं कृत्स्नमे कांशने स्थतो जगत् ॥
---
४६. प्रकाशादिवन्नैवं परः ।
અર્થ
પરઃ = પરમેશ્વર.
એવમ્ = એવી રીતે જીવાત્માના દોષોથી સંપન્ન
ન = નથી થતા.
પ્રકાશાદિવત્ = પ્રકાશાદિ પોતાના અંશના દોષોથી લિપ્ત નથી થતાં તેવી રીતે.
ભાવાર્થ
જીવાત્મા પરમાત્માનો અંશ છે તો પણ પરમાત્મા પર જીવાત્માના દોષોનો કશો પ્રભાવ નથી પડતો. પરમાત્મા એ દોષોથી મુક્ત રહે છે. જેવી રીતે સૂર્ય, વાયુ તથા પ્રકાશ વિગેરે પોતાના અંશરૂપી ઈન્દ્રિયોના દોષોથી લિપ્ત નથી બનતા તેવી રીતે પરમાત્મા પણ જીવોના કર્મોથી ને એ કર્મોનાં ફળ સુખદુઃખના દોષોથી લિપ્ત નથી થતા.
કઠ ઉપનિષદમાં કહ્યું છે કે સમસ્ત જગતના નેત્રરૂપ સૂર્ય નેત્રોના દોષોથી લિપ્ત નથી થતો તેવી રીતે સમસ્ત પ્રાણીના અંતરાત્મા પરમાત્મા જીવોનાં બાહ્ય દુઃખોથી અલિપ્ત રહે છે.
सूर्यो यथा सर्वलोकस्य चक्षुर्न लिप्यते चाक्षुषैर्बाह्मदौषैः ।
एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन बाह्यः ॥
---
४७. स्मरन्ति च ।
અર્થ
સ્મરન્તિ = સ્મૃતિ એવું જ કહે છે.
ચ = અને શ્રુતિ પણ.
ભાવાર્થ
પરમાત્મા જીવોના જુદાં જુદાં કર્મોથી ને કર્મનાં વિવિધ ફળોથી એકદમ અલિપ્ત રહે છે એ વાતનું પ્રતિપાદન જેવી રીતે શ્રુતિ કરે છે તેવી રીતે સ્મૃતિએ પણ કરેલું છે. એ રીતે એમની અંદર એક વાક્યતા છે. સ્મૃતિનો જે અંશ શ્રુતિને અનુરૂપ ના હોય તેને પ્રમાણભૂત નથી માનવામાં આવતો ને છોડી દેવામાં આવે છે, પરંતુ આ બાબત એ બંનેની વચ્ચે એકતા હોવાથી એવો કોઈ પ્રશ્ન જ નથી પેદા થતો.
મુંડક ઉપનિષદમાં એક જ વૃક્ષની શાખા પર બેઠેલાં જીવાત્મા ને પરમાત્મારૂપી બે વિહંગોનું વર્ણન કરીને જીવાત્મા કર્મ ફળોનો ઉપભોગ કરે છે ને પરમાત્મા ઉપભોગ નથી કરતા પરંતુ જોયા કરે છે એવું કહેવામાં આવ્યું છે; તે જ પ્રમાણે ગીતાના તેરમા અધ્યાયમાં પરમાત્માની અલિપ્તતાનું વર્ણન કરતાં કહ્યું છે કે 'અનાદિ અને ગુણાતીત હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેવા છતાં પણ કશું નથી કરતા અને કોઈ પ્રકારે કશાથી લેવાતા નથી.’
अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययः ।
शरीरस्थोङपि कौन्तेय न करोति न लिप्यते ॥