જન્મદિવસ શાને માટે આવે છે ?
જીવનધ્યેયની સંસ્મૃતિ કરાવવા.
જીવનનું કોઈ ધ્યેય છે કે જીવન ધ્યેયવિહોણું છે ?
એ ધ્યેય કેવું હોઈ શકે ને શું છે ?
તેનું મનન કરાવવા.
જન્મદિવસ શાને માટે આવે છે ?
વીતેલા વરસની પળોને અથવા એના પ્રસંગોને પુનર્જિવિત કરાવવા.
એમનું સરવૈયું કાઢવા, અને એક તટસ્થ નિરીક્ષકની જેમ
એમના સારાસારને પારખવાની શક્તિ પૂરી પાડવા,
અથવા તો એમનો નિષ્કર્ષ કાઢવાની શક્યતા પ્રદાન કરવા.
ભૂલ્યા ત્યાંથી ફરી ગણવા; જાગ્યા ત્યાંથી સવાર સમજવા.
જન્મદિવસ શાને માટે આવે છે ?
શુભને સારું સંકલ્પ કરવા; અશુભને અંજલિ આપવા;
શ્રદ્ધાને બળવત્તર બનાવવા; આશા અને ઉલ્લાસને દ્વિગુણિત કરવા;
નિરાશને નવજીવન ધરવા;
શેષ રહેલી સફર સારું સામગ્રી કે સાધનનો સંચય કરવાનો અવસર આપવા;
અને એવી રીતે અવની પરના અસ્તિત્વને
અવનવું, અસાધારણ, આકર્ષક, અમીમય, અમર કરવા.
- શ્રી યોગેશ્વરજી