દુઃખના દાવાનલથી ડરી જઈશ તો કેમ ચાલશે ?
પ્રગતિના પ્રકાશમય પરમપાવન પથમાં દુઃખના દાવાનલ તો આવવાના જ.
મનોબળવાળાને એ કશું જ નહિ કરવાના,
પરંતુ કાયરને તો જોતાં જ જલાવી દેવાના.
પ્રતિકૂળતાના પ્રખર પવનથી કે વિરોધના વાવાઝોડાથી
ડગીને ડરી જઈશ તો કેમ ચાલશે ?
કર્તવ્યના કઠોર કુરુક્ષેત્રમાં પ્રતિકૂળતા ને વિરોધના વાવંટોળ તો આવવાના જ.
મજબૂત મનોબળવાળા સત્યપરાયણ પુરુષને એ કશું જ નહિ કરવાના,
પરંતુ ડરપોકને તો દર્શનથી જ ડરાવી દેવાના.
અનીતિ, અન્યાય, અનૃત અને અત્યાચારથી
હિંમત હારી જઈશ તો કેમ ચાલશે ?
જીવનના જટિલ જંગમાં, વિવિધ વ્યવહારોની વચ્ચે,
એ સૌનો સામનો તો કરવો જ પડવાનો,
સત્ય સંકલ્પવાળા, અનર્થની સામે શિર નહિ ઝુકાવનારા,
સમ્યક્ સામનો કરનારા કર્મવીરને એ કશું જ નહિ કરવાના,
પરંતુ નાસીપાસ થનારને ક્ષણવારમાં જ લાચાર કરવાના.
પંથમાં પડેલા કંટકથી, અછતથી, અવહેલનાથી,
અસફળતાની આવૃત્તિથી ભાગ્યને દોષ દઈને
મૃતઃપ્રાય બનીને બેસી રહીશ તો કેમ ચાલશે ?
પૂર્ણતાનો પુણ્યપ્રવાસ સંકટના કંટકથી ભરેલો છે.
એમાં અછત, અવહેલના, અસફળતાની આવૃત્તિ પર આવૃત્તિ આવ્યા કરે છે.
મહારથીઓ એમાંથી જ માર્ગ કરે છે, સ્મિત કરે છે, આગળ વધે છે.
ફક્ત દુર્બળ દિલના માનવો જ એનો અફસોસ કરે છે.
આંસુ સારે છે, અને અકાળે વિના-મૃત્યુ મૃત્યુ પામે છે.
અવહેલના, અછત, અસફળતા, આપત્તિથી
આશાને છોડી દઈને અકાળે અવસાન પામશે તો કેમ ચાલશે ?
ગરલને સરળ, સુધામય કર; દુઃખને સુખ ગણ;
પ્રતિકૂળતાની પણ અનુકૂળતા કર;
પ્રગતિ, પ્રકાશ, પૂર્ણતાના પથ પર આગળ ને આગળ પગલાં ભર !
જીવનને હાથે કરીને વધારે જડ, ઝેરી, જટિલ કરીશ તો કેમ ચાલશે ?
- શ્રી યોગેશ્વરજી