‘તમે કોણ છો ?’ પુષ્પોના ઉપવનમાં તેણે મને પ્રેમપૂર્વક પૂછ્યું.
મેં કહ્યું : ‘કલાકાર’.
‘કલાકાર ?’ તેને કાંઈ સમજ ના પડી.
‘હા, કલાકાર.’ મેં સ્પષ્ટીકરણ કર્યું : ‘કેમ ? હું કલાકાર ના હોઈ શકું ?’
‘હોઈ શકો. કિન્તુ કેવાક કલાકાર છો ? શિલ્પી છો ? ’
‘ના.’
‘ત્યારે સંગીતજ્ઞ છો ?’
‘ના. સંગીતજ્ઞ પણ નથી.’
‘તો પછી નૃત્યકાર કે ચિત્રક હશો !’
‘ના. નૃત્યકાર કે ચિત્રક પણ નથી.’
‘ત્યારે શું લેખક કે કવિ છો ?’
‘ના. એવું પણ ના કહી શકાય.’
‘ત્યારે તમે કલાકાર નથી એમ જ કહોને !’
‘એમ તો કેવી રીતે કહી શકું ?’
‘તો પછી તમે શેના કલાકાર છો ?’
અને........
મારા શબ્દો સાંભળીને એ સ્તબ્ધ થઈ ગયો.
મેં સસ્મિત કહ્યું :
‘જીવનનો. હું જીવનનો કલાકાર છું.
સંકલ્પોનો-સ્વપ્નાનો શિલ્પી છું.
અનેકતામાંથી એકતાનો આવિર્ભાવ કરનાર સંગીતજ્ઞ છું.
તન અને મન પર નિયંત્રણ કરનાર નૃત્યકાર.
ચારુતાને ચિત્રિત કરનાર ચિત્રક,
વિશ્વના કવિવરની કલમ બન્યો છું માટે લેખક કે કવિ પણ.
એમ તમારી દુનિયાનો કલાકાર ના હોવા છતાં
મારી નાનકડી દુનિયાનો કલાકાર.’
- શ્રી યોગેશ્વરજી