પર્વતની સોડમાંથી સરી જતી સરિતાએ પ્રભાતના પ્રથમ પ્રહરમાં પર્વતને કહ્યું :
"આ અસ્ખલિત એકધારા અભિસરણથી હવે હું કંટાળી ગઈ છું.
આમાં મને આનંદ નથી રહ્યો.
હું અસ્થિર છું, ત્યારે તું કેવો સ્થિર થઈને ઊભો રહ્યો છે ?
વરસોથી, અરે યુગોથી, શાંત સમાધિ ધારીને તું આનંદે છે;
જ્યારે મારા ઉરમાં ઉદ્વેગ છે.
પળવારને માટે મને પર્વત બનવા દે તો તારો ઉપકાર.
તને સરિતા થવા દઉં."
પર્વતે પ્રસન્નતાપૂર્વક હા પાડી.
સરિતાને પોતાનું સ્વરૂપ ધર્યું.
પરંતુ........
એકાદ બે દિવસમાં સરિતા અશાંત બનીને અકળાઈ ઊઠી.
"અરે, પ્યારા પર્વત ! આના કરતાં તો મારું સરિતા સ્વરૂપ જ સારું હતું.
આ જીવન તો જડ છે, આમાં નરી શુષ્કતા છે.
નિશ્ચેતનતા છે, પ્રાણ નથી.
અભિસરણ અને એની દ્વારા અવનવા અવનીખંડોને અવલોકવાનો આનંદે નથી."
પર્વતે તેનું સરિતા તરીકેનું સ્વરૂપ પાછું પ્રદાન કર્યું.
સરિતાને શાંતિ વળી.
પર્વતે કહ્યું :
"સરિતા ! સ્વાદ, સ્થિરતા તથા શાંતિ -ઉભયની અભિલાષા સાથે ના રાખી શકાય.
છતાં પણ રાખવી હોય તો જ્યાં છે ત્યાં રાજી રહે અને અભિસરણનો આનંદ લે.
અડગ રીતે એકલા ટકી રહેવું કાંઈ સહેલું નથી."
સરિતા નિરુત્તર રહી.
- શ્રી યોગેશ્વરજી