શરદઋતુના સુભગ સ્વચ્છ ગગન જેવી છે મારી કવિતા.
એનું અંતર એકદમ અલૌકિક ને ઉઘાડું છે.
ચારુ ચાંદનીની જેમ આત્માને આરામ ને આનંદ,
શાંતિ ને સંજીવન આપનારું એનું અમૃત છે.
વર્ષાઋતુનાં વાવાઝોડાં ને તોફાન,
ગગનના ગેબી ગગડાટ
ને ચંચળ ચપલાના ચિત્તાકર્ષક ચમકાર
મારી કવિતાને સદાને સારુ છોડી ગયા છે.
એનું અંતર અત્યંત આહલાદક ને કોમળ
અને સંગીત શાંત ને સુમધુર છે.
સોનેરી શણગારોને એણે છોડી દીધા છે,
ને અર્થ ને છંદની ભુલભુલામણીમાંથી એ બહાર નીકળી છે.
સરળ-સરિતા સમી સૌને સુધામય કરતી
એ આખરે તારા મંગલ મહિમામાં મળી ગઈ છે.
જેવી છે તેવી આ કવિતા તારા શ્રીચરણોની માળા છે
હે મહાકવિ ! તને સમર્પિત કરેલી
તારા જ સ્વર્ગસુમનની સુમધુર માળા છે !
- શ્રી યોગેશ્વરજી