'કેમ દેવ ! વળી આજ ?
આ ગરીબની ઝૂંપડીને વળી પાવન કરી ?'
'હા, હું તને ભેટ આપવા આવ્યો છું.
આજે સઘળાંયે શાસ્ત્ર,
સારીયે વિદ્વત્તા તને આપવા માટે આવ્યો છું.
ટૂંકમાં, સરસ્વતીને તારી સદાની દાસી કરવા આવ્યો છું.'
'પણ મારા દેવ !
એ ભેટને લઈને હું શું કરીશ ?'
'કેમ ?
તું તેનાથી અખંડ કીર્તિ સંપાદન કરીશ.
તારી વિદ્વત્તા વાટે ચિર જીવનની પ્રાપ્તિ કરીશ.
એમ કેમ પૂછે છે કે, શું કરીશ ?'
'નહિં મારા દેવ !
મને આવો જ નિરક્ષર રહેવા દો.
હું માનું છું કે શાસ્ત્રોને હું મારા હૃદયમાં જ પ્રકટ કરીશ.
મને પાંડિત્ય ને વિદ્વત્તાના સમુચ્ચયરૂપ જીવન જીવવા દો,
તેનો લહાવ લૂંટવા દો !
તેથી જ હું ધન્ય બનીશ.
આ ભારને શિર પર ધારણ કરીને,
તમે જ કહો, હું શું કરીશ ?
- શ્રી યોગેશ્વરજી

