મારાં નયનરૂપી ચકોરને
તારા વદનવિધુ પર સ્થિર કરી દે,
એના જ રસાસ્વાદમાં એને મસ્ત થવા દે !
ઓ મારા પ્રભુ,
મારા મનરૂપી મધુકરને તારા વદનકમળમાં મસ્ત થવા દે !
મારાં નયનરૂપી ચાતકને
તારા વદનવાદળ પર એક કરી દે,
એના જ રસાસ્વાદમાં એને મસ્ત થવા દે !
ઓ મારા પ્રભુ,
મારા મનરૂપી મીનને તારા પ્રેમસલિલમાં સ્નાન કરવા દે !
મારાં નયનરૂપી કમલને
તારા ચરણમાં બલિ બનવા દે,
એના જ રસાસ્વાદમાં એને મસ્ત થવા દે !
ઓ મારા પ્રભુ,
મારી મનરૂપી સરિતાને તારા પ્રશાન્ત મહાસાગરમાં મળી જવા દે !
મારા મનરૂપી મધુકરને
તારા ચરણમાં સ્થિર કરી દે,
એના જ રસાસ્વાદમાં એને મસ્ત થવા દે !
ઓ મારા પ્રભુ,
મારા મનરૂપી શબ્દને તારા મહાશબ્દમાં મળી જવા દે,
તારા મહાકાવ્યની માળામાં ફૂલ બનીને ગૂંથાઈ જવા દે !
- શ્રી યોગેશ્વરજી