અંતર ખૂબ ખેંચાય છે....
જાણે કરોડો દોરડાંથી કો'ક તેને તાણે છે.
એની વ્યથા પણ પુષ્કળ થાય છે.......
જાણે હજારો શૂળો એમાં ભોંકાય છે.
પણ કહેવાનું થતું નથી કે અંતર ખેંચાય છે.
આંખમાંથી આંસુની ધારા ચાલી જાય છે.
રાતે ઊંઘ નથી; ને બેચેની પણ એટલી બધી છે
કે કોઈ કામમાં મન લાગતું નથી.
તેની સ્મૃતિને તાજી કરતી તેની સુમધુર મૂર્તિ સ્થળે સ્થળે દેખાય છે;
પણ કહેવાનું થતું નથી કે વેદના આવી છે.
આ સંગીત ઘણું કરુણ છે
ને તેના મૂક પડછંદા પણ ઘણા મર્મભેદક છે;
છતાં કહેવાનું થતું નથી કે પ્રેમની વેદના આવી છે.
તે આવે છે ને જાય છે,
ને તેનું હૃદય પણ પ્રેમની આવી લીલા અનુભવે છે એમ લાગે છે;
પણ કહેવાનું થતું નથી કે પ્રેમ થયો છે.
ને એમાં જ સાચી મજા છે.
પ્રેમ એ અવ્યકત દેવ છે;
શબ્દોની વ્યક્તતાની એને ભાગ્યે જ જરૂર છે.
- શ્રી યોગેશ્વરજી