હું તો એમ જ કહું છું
કે શાસ્ત્રોનો ભાર તું મારા મસ્તક પરથી ઉતારી દે !
કદાચ હું વેદના મંત્રો ને ઉપનિષદનાં રત્નો પણ સદાને માટે વીસરી જઉં;
ગીતાનાં ગૌરવ જેવાં વાક્યો પણ વીસરી જઉં,
ને જે જે જાણ્યું, વાંચ્યું કે સાંભળ્યું છે તે સઘળું ભૂલી જઉં.
હા, વિસ્મરણ એ જ મારી ભિક્ષા થશે;
તારી પાસે હું આજે આ ભિક્ષા માગી રહ્યો છું.
મારા વાસ્તવિક પ્રામાણિક પ્રેમને પ્રકટ કરવો હોય
તો મારું બધુંય ભુલાવી દે.
જગતનું ભાન પણ ભલે ના રહે....!
આંખ, અંતર ને અંગેઅંગમાં એક તારી જ મૂર્તિને રાખી દે;
બીજું બધું જ ભલે ભુલાવી દે !
હું તો એમ જ કહું છું
કે શાસ્ત્રોનો ભાર તું મારા મસ્તક પરથી ઉતારી દે;
તારા વિનાનું બીજું બધું જ ભુલાવી દે.
- શ્રી યોગેશ્વરજી