ભલે હું તાડ જેવડો ઊંચો થઈ શકું
ને એવી સિધ્ધિ મળે કે રજકણથી પણ નાનો બની શકું;
એવી શક્તિ મળે કે વિરાટ જેવો વિરાટ
ને વામન જેવો સાધારણ થઈ શકું;
ફૂલ જેવો કોમળ ને હિમાલય જેટલો ભારે થઉં;
તો પણ શું ?
પાણી પર ચાલી શકું, આકાશમાં ઊડી શકું,
ને અગ્નિ ને વાયુનો સ્વામી થઈ મૃત્યુને પણ મારી શકું;
અરે, આ સંસારમાં જે ધારું તે કરવાને સમર્થ બની શકું;
તો પણ શું?
મારા હૃદયમાં પૃથ્વીનો પવિત્ર પ્રેમ ના વસતો હોય
તો એ બધું નકામું છે.
મારી શક્તિ સંસારની સેવા માટે ના હોય
તો તે અલંકાર ભાર કે કદાચ અનર્થ છે.
માટે જ પૂર્ણતાનો પ્રવાસ કરતી વખતે મારા પ્રથમ ગીતમાં મેં ગાયું છે
કે હે મારા મહાન હૃદય !
તારા અણુએ અણુમાં સૃષ્ટિનો સંવાદ હો !
સ્નેહ ને સેવાનો સંવાદ હો !
દુઃખીના નિઃશ્વાસ ને સુખીના સુખ-શ્વાસના એમાં ધ્વનિ હો !
તારી પૂજા પ્રભુ ને તેના પ્રતીક જેવા સંસારને માટે જ હો !
- શ્રી યોગેશ્વરજી