મનોરથ પૂર્ણ નહીં શું કરો ?
દયા કરી ના મુજ મનનો શું ચિંતાભાર હરો ? ... મનોરથ.
વેઠી મેં તો ખૂબ વિપત્તિ, ધ્યાન નહીં જ ધરો ?
સંતપ્ત થયું અંતર તેને શાંત નહીં શું કરો ? ... મનોરથ.
માખણમૃદુ માતાનું મન તો, કેમ તમે વિસરો ?
જગતતણાં જનની છો તોયે કેમ કૃપા ન કરો ? ... મનોરથ.
કૈંક જનોને તાર્યા તે ઈતિહાસ ખ્યાત સઘળો;
ઉદાસીનતા મારે માટે કેવલ કેમ ધરો ? ... મનોરથ.
આટઆટલું કષ્ટ સહ્યું મેં, સફળ નહીં શું કરો ?
ઘાયલ ઉર આરામ ચહે છે, દિવ્યૌષધ ન ભરો ? ... મનોરથ.
તરસ્યાને અમૃત પાશો ના ? અમૃત સાથ ફરો;
ક્ષુધા ક્ષુધિતની નહીં શમાવો? સ્મિતની સાથ વરો ! .. મનોરથ.
વજ્રપાતથી યે વધુ ભારે એ આઘાત ખરો;
કોમલ શિશુ પર કેમ જ કરશો, નિર્દય નીચ નરો? ... મનોરથ.
છે વિશ્વાસ અટલ મુજને, તો મિથ્યા તે ન કરો;
‘પાગલ’ થાય ગમે તે તોયે આજ જરૂર મળો ! ... મનોરથ.
- © શ્રી યોગેશ્વરજી