વૈદોએ કહ્યું હવે આ નહીં બચે.
જેમને જણાવવું હોય તેમને જણાવી દો,
તેડાવવા હોય તેમને તેડાવી લો,
હવે આ વધારે નહીં બચે.
હકીમોએ હિંમતપૂર્વક કહ્યું,
કોશિશ કરીએ છીએ છતાં પણ આશા ઓછી છે.
ડોક્ટરોએ ડહાપણ દર્શાવ્યું,
કાળનો પડદો પડવાની તૈયારી છે,
દરદી અડતાલીસ કલાકથી અધિક નથી.
સમાચાર પહોંચાડવા હોય તેમને પહોંચાડી દો,
દરદીનું આયુષ્ય અડતાલીસ કલાકથી અધિક નથી.
એવે વખતે તમે શાંત જ હતા, સ્વસ્થ હતા.
અડતાલીસ કલાક પછી દરદીએ આંખ ઉઘાડી
ત્યારે પણ તમે સ્મિત રેલતા શાંત જ હતા.
વૈદ હકીમ ડોક્ટર મૌન નહોતા સેવતા.
એમની આદત આગળ લાચાર લાગતા.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)