તમારે દ્વારે મેં પુષ્પોની પ્રફુલ્લ માળાઓ મૂકી,
પુષ્પો પાથર્યાં,
આરતી ઉતારી, નૈવેદ્ય ધર્યું.
જે જે જરૂરી હતું તે બધું જ કર્યું
તો પણ દ્વાર ના ઊઘડ્યું.
તમારે દ્વારે મધુમય મલ્હારગીત ગાયું,
પોકારો પાડ્યા,
શાંત સંવેદન અનુભવ્યાં, સ્તોત્ર વાંચ્યાં.
જે જે જરૂરી હતું તે બધું જ કર્યું
તો પણ દ્વાર ના ઊઘડ્યું.
એ સઘળું છોડીને શાંત થયો
સમર્પિત બન્યો
દ્વાર ત્યારે જ ઊઘડ્યું,
ઊઘડ્યા વિના ના રહ્યું.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)